શ્રી જલારામબાપનું જીવનચરિત્ર |
શ્રી જલારામબાપાનો જન્મ સંવત 1856 માં કારતક સુદ 7 ને સોમવારે તા.4-11-1799 ના સૌરાષ્ટ્રમાં જેતપુર અને ગોંડલ વચ્ચે આવેલ વીરપુર નામના એક નાનકડાં ગામમાં થયો હતો.
શ્રી જલારામના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ હતું. અભિજીત નક્ષત્રમાં જન્મેલ બાળકનું નામ જલો પાળવામાં આવ્યું. તેમનામાં બાળપણથી જ રામનામના ભક્તિ બીજ રોપાયાં હતાં.
એક વખત ગિરનાર તરફથી વયોવૃધ્ધ સંત મહાત્મા વીરપુર ગામમાં આવ્યા અને પ્રધાન ઠક્કરના ઘર આગળ આવીને ઉભા રહ્યા. જલારામની નજર પડતાં જ તેઓ ઘરમાંથી દોડીને બહાર આવ્યા અને સંતને પ્રણામ કર્યા. જલારામને આશીર્વાદ આપીને સંત ત્યાંથી ચાલતા થઈ ગયા. આ સંતના દર્શનથી જલારામના જીવનમાં દૈવી પ્રકાશ છવાઈ ગયો. તેમના જીવનમાં મહાન પરિવર્તન આવી ગયું. તેમના મુખમાંથી રામનામનો ઉચ્ચાર થવા લાગ્યો. 14 વર્ષની ઉંમરે તેમનો યજ્ઞોપવિત સંસ્કાર થયો અને પછી 16 વર્ષની વયે આટકોટ ગામના શ્રી પ્રાગજીભાઈ સોમૈયાની સુપુત્રી વીરબાઈ સાથે શ્રી જલારામના લગ્ન થયા. પ્રભુકૃપાથી શ્રી જલારામને ખુબજ સેવાભાવી પત્ની મળ્યા હતાં. શ્રી જલારામબાપા માટે વીરબાઈ મા અલખની આરાધનાના હમસફર બન્યા. જલારામબાપા પહેલાં પોતાના પિતા સાથે અને ત્યારબાદ કાકા સાથે વ્યવસાયમાં જોડાયા પણ એમનું આંતરમન બીજું જ કઈ ઝંખતું હતું. તેઓ પરિવારજનોની પરવાનગી લઈ પત્ની વીરબાઈ સાથે યાત્રાએ ઉપડી ગયા. 18 વર્ષની વયે તેમને અમરેલી પાસે ફતેહપુરમાં રહેતા શ્રી ભોજલરામ ગુરુ મળ્યા. ગુરુ શ્રી ભોજલરામ પાસે આશીર્વાદ મેળવી તેમની આજ્ઞાથી સદાવ્રતની શરૂઆત કરી. જુદો આશ્રમ બાંધી પોતાની અંગત મહેનતથી દંપતિ ખેડૂતોના ખેતરમાં જઈ મોલ લણીને નિર્વાહ ચલાવતા હતા. આવી પરિસ્થિતિમાં પણ તેઓએ 40 માપ દાણા એકઠા કર્યાં અને રામનું નામ લઈને અને પોતાના ગુરુ ભોજલરામનું સ્મરણ કરી સંવત 1876ના મહા સુદ 2 ના રોજ વીરપુરમાં સદાવ્રત (અન્નદાન) આપવું શરૂ કર્યું. જેમ જેમ સદાવ્રતની ખબર થવા લાગી તેમ તેમ સાધુ સંતોનું વીરપુર આવવાનું વિશેષ થવા લાગ્યું. અને મહેનતથી મેળવેલા દાણા બધા સદાવ્રતમાં વપરાઈ ગયા. માતા વીરબાઈએ પોતાના તમામ દાગીના ભક્તરાજને અન્નદાનમાં વાપરવા આપી દીધા અને સદાવ્રત ચાલું રાખ્યું. પછી ચારે તરફથી લોકો જલારામની માનતા કરવા લાગ્યા અને પ્રભુકૃપાથી માનતા સફળ થતી હતી. સંવત 1886ની સાલમાં એક વૃધ્ધ સંત મહાત્માના વેશમાં ભગવાને ભક્ત જલારામની કસોટી કરી પોતાની વૃધ્ધાવસ્થાની સેવા માટે વીરબાઈમાની માગણી કરી જે દંપતિએ સ્વીકારી અને વીરબાઈ મા વૃધ્ધ સંત મહાત્મા સાથે શુધ્ધ ભાવનાથી સેવાર્થે ચાલી નીકળ્યા. વીરપુરથી 2-3 માઈલના અંતરે ગાઢ જંગલમાં વૃધ્ધ સંત ઝોલી-ધોકો સાચવવા આપી અદ્રશ્ય થઈ ગયા. પછી આકાશવાણી દ્વારા તેમને ઘેર પાછા ફરવાનો આદેશ આપી જણાવ્યું કે તેઓ કસોટીમાંથી પાર ઉતર્યા છે અને ઝોલી-ધોકોને જગ્યામાં પધરાવી સેવા પૂજા કરવાનું જણાવ્યું. આ વખતે ભક્તરાજની ઉંમર 30 વર્ષની હતી.
આ બનાવ પછી ભક્ત જલારામની કીર્તિ ચોતરફ પ્રસરી ગઈ અને દેશ-પરદેશમાં જલારામની માનતા થવા લાગી. સંવત 1934ના ભયંકર દુષ્કાળના કપરા સમયમાં કોઈપણ યાચકને છુટા હાથે સદાવ્રત આપી હજારો મનુષ્યોને ભોજન આપ્યું હતું. માતુશ્રી વીરબાઈમાં પ્રભુભજન કરતાં કરતાં સંવત 1935ના કારતક વદ-9ને દિવસે (તા.18-11-1878)ના સ્વર્ગવાસી થયા.
માતુશ્રી વારબાઈને સંત મહાત્માને અર્પણ કર્યા પહેલા જલારામબાપાને સંતાનમાં એક પુત્રી જમનાબાઈ થયા હતા જેમના લગ્ન કોઠડાપીઠામાં ભક્ત ભક્તિરામ સાથે થયેલ.
સંવત 1936ના વૈશાખ મહિનામાં ભક્તરાજના શરીરે રોગનો ઉપદ્રવ થયો અને સંવત 1937ના મહાવદી 10ને તા. 23-2-1881 બુધવારે ભજન કરતાં કરતાં અને સેવકોને બોધ આપતાં આપતાં ભક્ત શિરોમણી શ્રી જલારામબાપા દેહ તજી પ્રભુપદને પામ્યા.
|
|
|
|